Matthew 15 in Gujarati

1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,

2 તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.

3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?'

4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, 'તમે તમારા માતાપિતાનું સન્માન કરો અને જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.'

5 પણ તમે કહો છો કે, જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, 'જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;

6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

7 ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,

8 'આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.

9 તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.'

10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, 'સાંભળો અને સમજો.

11 મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.'

12 ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'આ વાત સાંભળીને ફરોશીઓ નાખુશ છે, એ શું તમે જાણો છો?'

13 પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.

14 તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.

15 ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.

16 ઈસુએ કહ્યું કે, 'શું હજી સુધી તમે પણ અણસમજુ છો?'

17 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?

18 પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે જ માણસને ભ્રષ્ટ કરે છે.

19 કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.

20 માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.'

21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.

22 જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.'

23 પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ; અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'તે સ્ત્રીને વિદાય કરો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.'

24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, 'ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.'

25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કરો.

26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.

27 તે સ્ત્રીએ કહ્યું કે, 'ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.'

28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, 'ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.' તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.

29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.

30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.

31 જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, ટૂંડાઓ સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.

32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.'

33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ?

34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલી છે?' તેઓએ કહ્યું કે, 'સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.'

35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.

36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી.

37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.

38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.

39 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.